દિયોદરના વાતમ ગામના યુવકની હત્યામાં સંડોવાયેલા દસ શખ્સોને પોલીસે દબોચ્યા.
દિયોદર તાલુકાના સેસણ નવા ગામના હુસેનખાન ભચેખાન બલોચ, મિશ્રીખાન જુમેખાન બલોચ ગુરૂવારે વહેલી સવારે 5.30 કલાકના સુમારે જીપડાલુ નંબર જીજે. 08. એકસ. એકસ. 7221 લઇ લાખણી તાલુકાના આગથળા બસ સ્ટેન્ડ નજીક પસાર થઇ રહ્યા હતા. ત્યારે દિયોદર તાલુકાના વાતમ ગામનો અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા, નિકુલસિંહ, મોજરૂનો જગતસિંહ, ચિભડાનો પ્રવિણસિંહ અને દિયોદરનો હમીરભાઇ ઠાકોરે સ્ક્રોર્પિયો ગાડીમાં પીછો કરી બસ સ્ટેન્ડ નજીક જીપડાલું રોકાવ્યું હતુ. અને મિશ્રીખાન ઉપર ધારીયું, લોખંડની પાઇપથી હુમલો કરી નિર્મમ હત્યા કરી હતી. આ અંગે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ કે, નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા માટે એલ. સી. બી., એસ. ઓ. જી. તેમજ સ્થાનિક પોલીસ મથકની 10 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં તપાસના અંતે હત્યામાં સંડોવાયેલા અખેરાજસિહ ઉર્ફે અખીરાજ ઉર્ફે અખી બન્ના પરબતસિહ વાઘેલા (રહે.વાતમ), હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગૌસ્વામી (રહે.નવા શિવ મંદિર, દિયોદર મૂળ રહે.દલવાડા તા.પાલનપુર), ભાવેશભાઇ રાણાભાઇ ઠાકોર (મૂળ રહે.બિયોક તા.વાવ હાલ રહે.લહેરીપુરા,દિયોદર), યશકુમાર જયંતીભાઇ દરજી (મૂળ રહે.ઓઢા હાલ રહે.બંસીધર સોસાયટી, દિયોદર), વિષ્ણુભાઇ મફાભાઇ રાવળ (રહે.કુવાળા), મહીપાલસિહ જબરસિહ વાઘેલા (રહે.વાતમ), નાગપાલસિહ ગણપતસિહ વાઘેલા (રહે.વાતમ), દરીયાખાન ઉર્ફે દરુ અકબરખાન બલોચ (રહે.સેસણ તા.દિયોદર), હીમાશુ ઇશ્વરભાઇ રાવળ (રહે.કુવાળા) અને નવાબખાન પાન્ધીખાન બલોચ (રહે.સેસણ)ને ઝડપી લેવાયા હતા. આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા. કુલ 13 આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.